Tuesday, June 5, 2012

પ્રણયને આંધળો કહેવાય છે,

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે,
તું નયન સામે નથી તો પણ મને દેખાય છે…
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે,
કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે…
એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાયે છે,
શોધમાં નીકળું છું હું ત્યારે જ એ સંતાય છે…
આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,
તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે…
એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,
મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે…
હોય ના નહિ તો બધોય માર્ગ અંધારા ભર્યો,
લાગે છે કે આપની છાયા બધેજ પથરાય છે…
હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,
ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે…
પ્યાર કરવો એ ગુન્હો છે એમ માને છે જગત,
પણ મને એની સજા તારા તરફથી થાય છે…
છે લખાયેલું તમારું નામ એમાં એટલે,
લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે…
છે અહીં બેફામ કેવળ પ્રાણની ખુશ્બુ બધી,
પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે…
- બરકત વિરાણી ‘બેફામ’

No comments: